માણસ હાર ન સ્વીકારે ત્યાં સુધી તે પરાજિત થતો નથીતેર વર્ષની છોકરીએ એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા ત્યારે...
✍🏿સુ ખનો પાસવર્ડ-આશુ પટેલ
બિકાનેરમાં રહેતી 13 વર્ષની માલવિકા ઐયરની જિંદગી ઘણાં બાળકોને ઈર્ષા આવે એવી રીતે પસાર થઈ રહી હતી. તામિલનાડુના કુંભકોણમના વતની બી. ક્રિશ્નને તેમની પત્ની હેમા સાથે રાજસ્થાનના બિકાનેરમાં ઘર વસાવ્યું હતું. તેમને વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ્સમાં એંજિનિયર તરીકે નોકરી મળી હતી. તેમની બદલી થતી રહેતી હતી એટલે તેઓ રાજસ્થાનનાં જુદાં-જુદાં શહેરોમાં રહેતા હતા અને તેમની પત્ની હેમા અને બે દીકરી કાદંબરી અને માલવિકા બિકાનેરમાં રહેતા હતા.
માલવિકા આખો દિવસ તેની ઉંમરનાં બાળકો સાથે ધમાલ-મસ્તી કરતી રહેતી. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. વહેતા ઝરણા જેવી, ચંચળ અને રમતિયાળ માલવિકા પાડોશીઓની અને ટીચર્સની પણ લાડકી હતી.
પણ 26 મે. 2002ના દિવસે માલવિકાના જીવનમાં એક ભયાનક વળાંક આવી ગયો.
માલવિકાના એક જિન્સ પેન્ટ્નું ખિસ્સું ફાટી ગયું હતું. માલવિકાએ વિચાર્યું કે એ ફેવિકોલથી ચીપકાવી દઉ. તેણે ફેવિકોલ લગાવ્યા પછી પેન્ટના ખિસ્સા પર કશુંક વજન મૂકવાનું વિચાર્યું, જેથી ફાટેલું ખિસ્સું બરાબર ચીપકી જાય.
માલવિકા કશીક વજનદાર ચીજ શોધવા માટે તેના ઘરની પાછળના તેમના ગેરેજમાં ગઈ. ત્યાંથી તે કોઈ વજનદાર વસ્તુ ઉઠાવી લાવી. તેને ખબર નહોતી કે તેના ઘરથી થોડે દૂર આવેલા લશ્કરના શસ્ત્રાગારમાં થોડા મહિનાઓ અગાઉ વિસ્ફોટ થયો ત્યારે ઘણા હેન્ડ ગ્રેનેડ ઉછળીને આજુબાજુના વિસ્તારોમાં ફેંકાયા હતા. માલવિકા ભારે વસ્તુ સમજીને ઉઠાવી લાવી હતી એ એમાંનો એક હેન્ડ ગ્રેનેડ જ હતો. તેણે જેવો એ હેન્ડ ગ્રેનેડ જિન્સના પેન્ટ પર મૂક્યો એ સાથે જ એ પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટ્યો અને માલવિકા બેહોશ થઈ ગઈ.
માલવિકા હોશમાં આવી ત્યારે તેણે ખબર પડી કે તે પોતાના બંને હાથ ગુમાવી ચૂકી હતી. તેના પગમાં પણ ફ્રેક્ચર્સ થયા હતા અને તેણે આંશિક પેરેલિસિસ થઈ ગયો હતો.
હસતી-ખેલતી માલવિકાની જિંદગી 180 ડિગ્રી પર બદલાઈ ગઈ. તે અઢાર મહિના સુધી હૉસ્પિટલમાં રહી એ પછી કાખઘોડીની મદદથી ધીમેધીમે ચાલતી થઈ.
એ દિવસોમાં માલવિકા સ્વાભાવિક રીતે હતાશા અનુભવતી હતી, પણ તેણે નક્કી કર્યું કે મારે ફરી ઊભા થવું છે. તેણે પહેલા ચાલવાનું શરૂ કર્યું, પછી પગથિયાં ચડવાનું શરૂ કર્યું. એ પછી તેણે કૃત્રિમ હાથની મદદથી બધાં કામો કરવાની કોશિશ કરવા માંડી.
માલવિકાએ એસ.એસ.સી.ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેણે રાઈટરની મદદથી ચેન્નાઈથી એસ.એસ.સી.ની પરીક્ષા આપી અને 500માંથી 483 માર્ક્સ મેળવીને તે આખા રાજ્યમાં બીજા નંબરે આવી. અખબારોએ તેની ઉપલબ્ધિની નોંધ લીધી એટલે એ વાત તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સુધી પહોંચી. તેમણે માલવિકાને રાષ્ટ્રપતિ ભવન આવવાનું આમંત્રણ આપીને તેનું સન્માન કર્યું.
એ પછી તો માલવિકાએ દિલ્હીની સ્ટીફન કોલેજમાંથી એમ.એ. અને ચેન્નાઈ યુનિવર્સિટીમાંથી એમ.ફીલ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. ત્યાર બાદ તે મોટીવેશનલ સ્પીકર બની. તેણે દેશમાં અને વિદેશમાં પ્રેરણાત્મક પ્રવચનો આપવાનું શરૂ કર્યું. માલવિકા અત્યાર સુધીમાં અમેરિકા, દક્ષિણ કોરિયા, નોર્વે અને ઈંડોનેશિયામાં પ્રવચનો આપી ચૂકી છે. આ ઉપરાંત તે એક એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત છે.
માલવિકાના જીવન પરથી ફરી વખત કહેવાનું મન થાય છે કે માણસ જ્યાં સુધી પોતે ન સ્વીકારી લે ત્યાં સુધી તેની હાર થતી નથી. અથવા તો જ્યાં સુધી માણસ હાર ન સ્વીકારે ત્યાં સુધી તેનામાં ફરી ઊભા થવાની શક્યતાઓ ખતમ થતી નથી.



